બંધ

ઇતિહાસ

વનરાજ ચાવડાએ સંવત ૮૦ર વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા. આચાર્ય હેમચંદ્ગાચાર્ય જૈન વિદ્વાન, કવિ અને પ્રખર પંડિત હતા. જેમણે વ્યાકરણ, તર્કશાત્ર અને તત્કાલિન ઇતિહાસમાં ધણુ મહત્વપુર્ણ યોગદાન કરેલ છે. તેમને ” કલિકા સર્વજ્ઞ” ની ઉપાધિ મળેલ છે.
ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવનાર પાટણના બે ઐતિહાસિક સ્થાપત્યો સહસ્ત્રલીંગ સરોવર (તળાવ) તથા રાજા ભીમદેવ પહેલાની રાણી ઉદામતીની યાદમાં બંધાવેલી રાણીની વાવનો ઇતિહાસ તેના સ્થાપત્ય તથા તેની પ્રશસ્તિ ઉત્કૃષ્ટ હોઇ તેને રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન આપેલ છે. ગુજરાતના પાટણ જીલ્લામાં રાણકી વાવ એક જટિલ તેમજ ઉત્તમ બાંધકામનું ઉદાહરણ છે. જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે.૧૧મી સદીના રાજા ભીમદેવે તેમની રાણી ઉદયમતીની યાદમાં રાણકી વાવ બંધાવેલી હતી. યુનેસ્કોના વલ્ડ હેરીટેજ સાઇટમાંં ૨૨ જુન ૨૦૧૪ ના રોજ તેનો સમાવેશ થયો હતો. પાટણનું બીજુ સ્થાપત્ય સહસ્ત્રલિંગ તળાવ જે મધ્યકાલિન યુગમાં કૃત્રિમરીતે જળ સંગ્રહ માટે બંધાયેલુ હતું. જેનું બાંંધકામ ચાલુક્ય ( સોલંકી) યુગમાં થયું હતુંં. આ ઉપરાંત હેમન્દ્ગાચાર્ય લાયબ્રેરી, જૈન મંદિરો, સિદ્ધરાજ જયસિંહના સમયના કાલિકા માતાનું મંદિર મહત્વ ધરાવે છે. વડોદરા રાજ વખતે પણ પાટણનું સ્થાન આગવું હતું. આ ઉપરાંત નવરચિત જિલ્લામાં સમાવિષ્ટ રાધનપુર તાલુકો પણ બાબીવંશના નવાબના સમયનું રજવાડું હતું. સિદ્ધપુર શહેર રૂદ્ગમહાલા અને બિંદુસરોવર માતૃ-તર્પણ તીર્થ તરીકે પ્રખ્યાત છે. શંખેશ્વર તાલુકાના શંખેશ્વર ગામે પાર્શ્વનાથ દાદાનું જૈન મંદિર આગવું મહત્વ ધરાવે છે. ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની સાંસ્ક્રુતિક ધામ અણહિલવાડ પાટણ તેનો સુવર્ણ ઇતિહાસ, તેના ઉત્ક્રુષ્ઠ સાંસ્ક્રુતિક વારસો, તેનું શિલ્પ સ્થાપત્ય, લોકકલા અને પટોળાની હસ્તાકલાથી પ્રચલિત છે.